facebook

Saturday 31 October 2015

reshma purohit

રેશમા પુરોહિત લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ જ રાખશે


    ગુજરાતી ફિલ્મોમાં જેમ લગ્ન થતા હોય છે તેનાથી ક્યાય અલગ આપણી વાસ્તવિક જિંદગીના બંધનો હોય છે. લગ્ન બંધન એ એક જન્મો જન્મનું બંધન છે. ઉપરવાળાએ બધા માટે એક સરસ પસંદ તો ઉપરથી જ ગોઠવેલી હોય છે બસ અહીં નીચે આવીને તેને આપણે પામવાની વાર છે. ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીઓ પણ આ બંધનથી બાકાત નથી. જેમાં ગઈ ૯ મી તારીખે ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ અભિનેત્રી રેશમા પુરોહિતને પોતાના મનનો માણીગર મળી ગયો. અત્યાર સુધી તેણે ગુજરાતી ફિલ્મોમાં સ્વબળે પોતાનું સ્થાન જમાવી રાખનાર રેશમા અત્યારે લગ્નબંધને બંધાઈ ચુકી છે. તેના લગ્ન એરેન્જ મેરેજ જ છે એટલે રેશમા પુરોહિતના ચાહકોને એમ ન થાય કે ક્યાંક રેશમાએ પ્રેમલગ્ન તો નથી કર્યા ને. બીજી એ વાત કે રેશમાએ ઇન્ડસ્ટ્રીઝના વ્યક્તિ સાથે મેરેજ નથી કર્યા. રેશમા પુરોહિત સાથે વાત કરતા તેણે કહેલું કે, મને મારી ખુશી કરતા મારા મમ્મી અને પપ્પા જે હવે હયાત નથી તેને ખુશ જોઇને હું બહુ જ ખુશ થાઉં છું. મારા પપ્પાને અવસાન થયાને ચારેક મહિના થયા છે જેથી મને અફ્સોસ છે કે તેઓ અમને વહેલા મુકીને ચાલ્યા ગયા. રેશમા પુરોહિતએ વધુમાં કહ્યું કે મારા પપ્પાની ખ્વાહીશ હતી કે મારા લગ્ન ધામધૂમથી તેમની હાજરીમાં થાય. રેશમા તેના પપ્પાની બહુ લાડકી દીકરી હતી. તે પણ અત્યારે તેના પપ્પાને ખૂબ મિસ કરે છે કે જો તે અત્યારે હોત તો અત્યારે જેટલો આનંદ છે તેનાથી પણ વધુ આનંદ હોત.  

    રેશમા પુરોહિતના જીવનસાથીનું નામ નિહાલ ઉપાધ્યાય છે. જેને પસંદ કરવામાં રેશમાએ કોઈ નિર્ણય નહોતો લીધો અને ફક્ત સ્વભાવ પર વારી ગઈ હતી. લગ્ન પછી ફિલ્મોમાં કામ કરશો? ના જવાબમાં રેશમાએ જણાવ્યું કે, ફિલ્મોમાં કામ તો મારૂ ચાલુ જ રહેશે. કારણ કે મારા પતિ એવું ક્યારેય નહિ ઈચ્છે કે મને ઘરમાં બેસાડી રાખવી કે ઘરકામમાં જ પછીથી કામ કરવું. મારે ઘરમાં આમેય બહુ કામ કરવાનું આવતું નથી.

    રેશમા પુરોહિત અને નિહાલ ઉપાધ્યાયના લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નામી અનામી કલાકારોનો જલસો ૯ મી મેએ જોવા મળ્યો હતો. ખરેખર તેમના અભિપ્રાયો પણ મળ્યા હતા જેમાં ગુજરાતી ફિલ્મોના એક સ્ટારે કહ્યું કે, આ એક ખુશીની વાત છે કે રેશમા પુરોહિત લગ્નબંધને બંધાવા જઈ રહી છે. મારા તરફથી તેને તેના જીવનનું નવું સોપાન સદાય સુખદાયી નીવડે અને સાથે સાથે સિને મેજિક પરિવાર વતી પણ રેશમા પુરોહિતને લગ્નબંધન મુબારક.



n  ગજ્જર નીલેશ 

premji : rise of a warrior

આજના યુવાનોને ગમે તેવી ફિલ્મ ‘પ્રેમજી’


    વિજયગિરીને ફિલ્મો બનાવવાનો ગંદો શોખ નાનપણથી જ રહ્યો છે. સાથે જો કોઈનો સાથ મળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. તેમને સાથ મળ્યો તેમની જીવનસંગીની ટ્વિન્કલનો. તેમની સામે ફિલ્મ બનાવવી તે વિચાર મુક્યો. તરત તૈયારી શરૂ થઇ. આ જ પેશન અને ચસ્કો એમને અમદાવાદ લઇ આવ્યો. સમજો ને શમીતાભના દાનીશની (ધનુષ) જેમ આને ય ફિલ્લમ બનાવવાનું સપનું એના દિલ અને દિમાગ ઉપર ૨૪૭ વળગી રહેતું.

    ખેર, એણે એલ.ડી.આર્ટસ કોલેજમાં બી.એ. કરવાનું શરૂ કર્યું. કોલેજમાં ભણતા ભણતા જ અમદાવાદના નાટકોમાં કામ કર્યું ને પછી ગુજરાતી ચેનલમાં ટી.વી. સીરીયલ્સમાં પ્રોડક્શન અને પછી આસી. ડિરેક્ટર તરીકે જોડાયા. વિજય માટે આ સમય એવો કપરો હતો કે ઘરે પપ્પા ખેડૂત, એમને કંઇ આ ધંધો સમજાય નહિ અને સમજવા માંગે પણ નહિ. એમને તો બસ એક જ વાત, દર મહીને આવક આવે અને સરકારી નોકરી કરે એ જ કેરિયર હોય એના સિવાય બીજું કઈ નહિ. ઘરની પરિસ્થિતિ પણ એટલી બધી સધ્ધર નહિ કે આ ફિલ્ડમાં ચાન્સ લેવા માટે વિજયને કોઈ આર્થિક પીઠબળ આપી શકે. તેમ છતાં ગમે તે થાય આ જ ફિલ્ડમાં આગળ વધવું. નામ કમાવવું, પૈસા કમાવવા અને ફિલ્મ બનાવવી. અને એ પણ કોઈ જ સપોર્ટ વગર. આત્મવિશ્વાસ, ટેલેન્ટ અને સારા મિત્રો એ જ વિજયનું પીઠબળ હતું. ઘણો સમય એવો રહ્યો જેમાં એવી પરિસ્થિતિ આવેલી કે એની પાસે બાઈક હોય પણ પેટ્રોલના પૈસા ના હોય. કીટલીએ બેસીને ફિલ્મ બનાવવાની, પ્રોડક્શન હાઉસ ખોલવાની વાતો થાય પણ ત્યાં ચા પીવાના પૈસા ના હોય. ઘણીવાર તો કોઈ કામ કર્યું હોય એના પૈસા આવે એ પહેલા જ કોની ઉધારી એમાંથી ચૂકવશે એ નક્કી થઇ ગયું હોય. બસ, હવે તો અમદાવાદમાં ભાડે રહેવું ને ગમે તે રીતે ટકી રહેવું. જે કામ મનને ગમે એ જ કામ કરવું છે. કલ્પના કરો આવા સિદ્ધાંતો પકડીને ચાલવું અને સાથે પૈસા પણ કમાવવા એ કંઇ સહેલું તો નહોતું જ.

    થોડા મહિના આઈડિયાના કોલ સેન્ટરમાં જોબ પણ કરી પણ જેનું મગજ કંઇક અદભુત સર્જન કરવા માટે જ સર્જાયેલું હોય એ માણસ ક્યાં સુધી પરાણે પોતાની જાત સાથે કામ કરાવી શકે? ૨ – ૩ મહિના પછી એક પગાર છોડીને તે નોકરી છોડી દીધી. એકબાજુ ઘરેથી પૈસા કમાવવાનું દબાણ અને બીજીબાજુ પોતાનું સપનું જીવવાની ઝંખના. સમજોને કે સંઘર્ષ અને વિટંબણાના લેખા જોખાથી જ આખો દિવસ એનું મન ભરેલું રહેતું. પણ વિજયનો વિલ પાવર એકદમ સ્ટ્રોંગ. ૨૩ વર્ષની ઉંમરે લોકો માસ્ટર્સ પૂરું કરે ને વિજય ચીફ આસી. ડિરેક્ટરની પોસ્ટ પર પહોચી ગયા હતા. ઈટીવી ગુજરાતીની સીરીયલ ‘મોટી બા’ માં એને કામ મળ્યું. એ પછી કોમેડી એક્સપ્રેસ, બીજી ડોક્યુમેન્ટ્રીઔ અને ઘણી બધી ટીવી સીરીયલ્સમાં પણ અનુભવ મેળવ્યો. પણ દિલના ઊંડાણમાંથી વિજયનો અંતરાત્મા હંમેશા એને કહેતો, ‘વિજય, યુ આર નોટ મેડ ફોર ધીસ, તારૂ સપનું તો હજી બાકી જ છે’.
    અમદાવાદનું કામ છોડીને ભાઈ પહોચી ગયા માયાનગરી  ફિલ્મની શોધમાં, કામની શોધમાં, સપનાઓ સર કરવા માટે. તમે નહિ માનો થોડા મહિનાના સંઘર્ષ બાદ એને સંજય લીલા ભણશાલી પ્રોડક્શનની બોલીવૂડ ફિલ્મ ‘માય ફ્રેન્ડ પીન્ટુ’ માં કાસ્ટિંગ આસી. ડિરેક્ટર તરીકે કામ મળ્યું. ને એ પછી કામ જ બોલે. તમે તો સમજી શકો કે એક ગુજરાતીને મોકો મળે પહચી શું થાય. પછી તો જાણે વિજયના સિક્કા પડી ગયા. મુંબઈના જ એક બીજા પ્રોડકશન હાઉસની ગુજરાતી ફિલ્મમાં ચીફ આસી. ડિરેક્ટર તરીકે કામ મળ્યું અને એ ફિલ્મ એટલે એની ઓસ્કારમાં એન્ટ્રી ‘ધ ગુડ રોડ’. બસ સમજોને હવે એવરેસ્ટ આવી જ ગયું હતું. આ ફિલ્મ પછી જ વિજયે ડિરેક્ટર તરીકે કામ કરવાનું ચાલુ કર્યું. એક સ્વતંત્ર દિગ્દર્શક તરીકે પ્રથમ ફિલ્મ ‘અમદાવાદી મિજાજ’ બનાવી. અમદાવાદ શહેરને સો વર્ષ પૂરા થયા ત્યારે યોજાયેલા કોમ્પીટીશનમાં આ ફિલ્મ વિજેતા બની. અને એ પછી તો આ સફળતાનો દૌર ચાલુ રહ્યો અને આજે એ જ વ્યક્તિ એક સંસ્થા બની ગઈ.
    ગયા વર્ષે ૧૧ મી જુને વિજયના ઘરે લક્ષ્મીનો જન્મ થયો અને એ જ અરસામાં એણે એની પ્રથમ ફીચર ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. જેનું નામ ‘પ્રેમજી’.
    હા, દોસ્તો આ વર્ષે વિજયની દીકરીનો પ્રથમ જન્મદિવસ જયારે આવશે એ જ દિવસે ‘પ્રેમજી નું પ્રીમિયર લોન્ચ થવાનું છે અને જુન મહિનાના એન્ડમાં આ ફિલ્મ રીલીઝ થવાની છે.



n  ગજ્જર નીલેશ 

samir rawal

સુભાષ ઘાઈના હસ્તે સમીર રાવલના અત્યાધુનિક સ્ટુડીઓનું મુહુર્ત




    અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને મિક્સિંગના કામ માટે ૫.૧, ૭.૧ સરાઉન્ડ સાઉન્ડ માટે ગુજરાત બહાર એટલે કે મુંબઈ જવું પડતું હતું. એના સ્થાને અમદાવાદમાં હવે આ જ ફેસીલીટી શરૂ થઇ છે. ૭.૧ સરાઉન્ડ સાઉન્ડ ડોલ્બી રેકોર્ડીંગની સમીર રાવલે શરૂઆત કરી અને એનું મિની પ્રિવ્યુ થીયેટર પણ બનાવવામાં આવ્યું છે. દસ ફૂટ બાય છ ફૂટનો પીવીઆર સિનેમા સ્ટાઈલ સ્ક્રીન એવા નાના સિનેમામાં બેસીને તમે આખી ફિલ્મ જોઈ શકો. ત્યાં આખી ફિલ્મનું મિક્સિંગ થઇ શકે અને સિનેમામાં જે પણ ઇક્વિપમેન્ટ વપરાય છે તે તમામ સુવિધા હવે અમદાવાદના આંગણે હશે. પ્લસ એકોસ્ટીકલી અને ટેકનીકલી અત્યારનો જે કહેવાય એવો હાઈટેક સ્ટુડીઓ બનાવ્યો છે. સ્ટુડીઓ સાઉન્ડ પ્રૂફ પણ છે અને વચ્ચે ફ્લોર તૈયાર કરવામાં આવ્યો છે. નાના કામ હોય જેમકે કોઈ લો બજેટ ફિલ્મ માટે પણ અહીં ખાસ કામ કરવામાં આવશે.



    ૫.૧ સરાઉન્ડ સાઉન્ડ જો તમે મુંબઈમાં કરવો તો ૮ થી ૧૦ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે એની જગ્યાએ આપણા અમદાવાદમાં આ જ સીસ્ટમ જેમાં ડબિંગ બેકગ્રાઉન્ડ અને મિક્સિંગ લગભગ ૨.૫ લાખ રૂપિયામાં થાય. તો ખાસ્સું અંતર ઘટી જવા પામે. આ અત્યાધુનિક સુવિધા માટે ખાસ તેમના આદર્શ જેમને તેઓ માનતા હતા તે બોલીવૂડના શોમેન સુભાષ ઘાઈના હસ્તે મુહુર્ત કરવામાં આવ્યું હતું. જેઓ પોતે સંગીતના જાણકાર છે અને પોતાનો મુક્ત આર્ટસ નામનો સ્ટુડીઓ પણ ધરાવે છે.


n  ગજ્જર નીલેશ 

mamta soni

‘ઠાકોર નં. 1’ માં આઈટમ સોંગ બાદ સીધી ઉંચી છલાંગ લગાવીને મમતા સોની બની ગઈ ‘બેવફા સાજણ’


    ગુજરાતી ફિલ્મોની બ્યુટીક્વીન એટલે મમતા સોની થોડા સમય પહેલા નિર્માતા – દિગ્દર્શક ભગવાન વાઘેલાની ફિલ્મ ‘ઠાકોર નં. 1’ માં આઈટમ ડાન્સમાં નજરે પડી હતી તે પછી તો મમતા સોનીએ એક હિન્દી ફિલ્મમાં પણ પોતાના જોબનનો જાદુ પાથર્યો છે. પરંતુ તે ફિલ્મ અને તેનું સોંગ રેગ્યુલર ફિલ્મો જેવું જ છે તેમાં કંઇ નવું નથી. બીજી મહત્વની વાત એ પણ છે કે મમતા સોનીએ ટૂંક સમયમાં પોતાના દર્શકોની અને ચાહકોની સંખ્યા વધારીને હરણફાળ ભરી છે જે જાહેર છે. આમ તો મમતા વિક્રમ ઠાકોર સાથે જ ફિલ્મો કરવામાં માને છે પરંતુ આ ભગવાન વાઘેલાની બીજી ફિલ્મ ‘બેવફા સાજણ’ માં તે ગુજરાતી ફિલ્મોના જાણીતા ગાયક – હીરો જગદીશ ઠાકોર સાથે આવવાની છે. તેની પાછળની વાત કરતા મમતા કહે છે કે, હું કોઈ બીજા હીરો સાથે ફિલ્મો સ્વીકારતી જ નથી. કારણકે મે તે ભૂલ અગાઉ પણ કરી છે પરંતુ ભગવાન વાઘેલાની ફિલ્મ સ્વીકારવાનું મુખ્ય કારણ એ છે કે ફિલ્મની વાર્તા મજબુત હતી જે મારા હૃદયને સ્પર્શી ગઈ હતી. બાકી વિક્રમ સાથે મારી જોડી દર્શકોએ સ્વીકારી છે તેથી હું મારા દર્શકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.

પ્ર – ‘બેવફા સાજણ’ વિષે?
ઉ – ભગવાન વાઘેલાની ફિલ્મ ‘બેવફા સાજણ’ માં હું ઇન્સ્પેક્ટરનો રોલ ભજવી રહી છું. મારું એવું પાત્ર છે કે ગુના ખતમ કરવા કરતા જે લોકો ગુના આચરે છે તેવા ગુનેગારોને જ ખતમ કરવા. તેઓ શામાટે આવા કામો કરે છે તેનું કારણ જાણવું જોઈએ અને તેને ખતમ કરવું જોઈએ. ફિલ્મમાં કાયદાકીય રીતે કડક પણ છું અને નરમ દિલની પણ બતાવવામાં આવી છું. બીજી એક વાત હું અહીં જણાવવા માગીશ કે, હું બીજા કોઈની ફિલ્મોમાં ગેસ્ટ અપીરીયન્સ જેવા રોલ કરતી જ નથી અપવાદ કે કોઈ સારૂ બેનર હોય. તે સમયે મે ભગવાન વાઘેલાની ફિલ્મમાં આઈટમ સોંગ કર્યું તો મને ગમ્યું અને એમને પણ ગમ્યું હશે. મારા સોંગથી થીયેટરમાં પબ્લિકનો ધસારો વધ્યો તો એમને એમ થયું હશે કે જો મમતા સોનીના એક સોંગથી જો ચાલતી હોય તો આખી ફિલ્મમાં મમતાને લેવાથી શું પરિણામ આવશે? તેથી તેમણે વિચાર્યું કે મમતા સોનીને લઈને ફિલ્મ બનાવીએ તો પબ્લિકનો સારો રિસ્પોન્સ મળશે. આ ઉપરાંત મારે પણ કંઇક અલગ કરવું હતું જેથી મે આ ફિલ્મ સાઈન કરી. દરેક ફિલ્મોમાં હિરોઈનના ભાગે કંઇ કરવાનું આવતું જ નથી. ઝાડ ફરતે ગીતો ગાવા અને નાચવા કુળવા સિવાય બીજું કશું નવું આવતું નથી. જયારે આ ફિલ્મમાં દર્શકોને હું એક્શન કરતી જોવા મળીશ.

પ્ર – મહિલાઓએ સમાજમાં કેટલું સશક્ત રહેવાની જરૂર છે?
ઉ – મહિલાઓને હું કહીશ કે તમે મને આ રોલમાં જોશો તો ખ્યાલ આવશે કે જીવનમાં કેવા કેવા પરિબળોનો સામનો કરવો પડતો હોય છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે મારા પાત્ર પરથી એક પણ મહિલા સારૂ માર્ગદર્શન મેળવશે તો મને ખુશી થશે. કેમકે નિર્માતાએ મને આ રોલ માટે યોગ્ય સમજી તો હું પડદે રહીને પણ જરૂરી માર્ગદર્શક બની રહીશ. હું અત્યાર સુધી દરેક ઇન્ટરવ્યુમાં કહું છું કે એક લેડીને હંમેશા કામ કરતુ રહેવું જોઈએ. ભલે તમે ઘરની બહાર નથી નીકળી શકતા તો ઘરમાં પણ કંઇક નાનું મોટું કામ કરવું જોઈએ હું એવું માનું છું.

પ્ર – સ્ટંટ સીન જાતે ભજવશો?
ઉ – અત્યાર સુધી તો જે પણ સ્ટંટ સીન મારા ભાગે આવ્યા છે તે મે મારા જાતે જ ભજવ્યા છે કારણકે, તે બહુ નાના સ્ટંટ હતા. પણ આ ફિલ્મમાં મારા ઘણા એવા સ્ટંટ સીન હશે જે દર્શકો પણ જોઇને આશ્ચર્યમાં પડી જશે કે મમતા સોની ફક્ત શાયરીઓ નથી કરી જાણતી. તે એક સારી સ્ટંટ વુમન પણ છે.
પ્ર – ચાહકોની ભીડથી ડર લાગે છે?
ઉ – હા, મારે જયારે જાહેર કાર્યક્રમો હોય છે ત્યારે મને ભીડથી બહુ ડર લાગે છે. ભલે અમે અમારા ચાહકો વચ્ચે હોઈએ છતાં પણ મનમાં એ ડર હોય છે કે ક્યારે કોઈ ચાહક શું કદમ ઉપાડે તે અમને ખબર નથી હોતી. મને મારો એક ચાહક યાદ છે કે, જયારે હું સવારે જાગી તો ન્યુઝ પેપરમાં વાંચ્યું કે, એક છોકરાએ ‘રાધા રાધા’ નામ લખીને પોતાનું ખૂબ લોહી વહાવેલું. એમાં એવું પણ લખેલું હતું કે તે છોકરાને મને મળવું હતું. ત્યારે એવું થાય કે પોતાનું લોહી કાઢીને આવું બધું કરવાથી શું મતલબ? મારા અમુક પ્રોગ્રામોમાં પણ ફરમાઇશ આવે અને તે પણ લોહીથી કાગળ પર લખેલી હોય.



n  ગજ્જર નીલેશ 

jagdish thakor

જગદીશ ઠાકોર ‘બેવફા સાજણ’ માં પોતાની વાસ્તવિક જીંદગી સમાન રોલ ભજવશે


    જગદીશ ઠાકોર. આ નામ ડાયરાના રસિયાઓ માટે નવું નથી. ગુજરાતી ફિલ્મોમાં અત્યારે જે સફળ હીરોની ગણતરી થાય છે એમાં જગદીશ ઠાકોરનું નામ પણ છે. દરેક ફિલ્મોમાં પોતાનો વટ, માં જળવાઈ રહે તેવી અભિનયક્ષમતા અને દરેક પાત્રમાં પાત્ર ન લગતા જીવંત અભિનય જોવા મળે તેવી અભિનયની ઝાંખી. તેમના અભિનય પર પણ તો દર્શકો આફરીન છે જ સાથે સાથે તેમની ગાયકી પર પણ લાખો યુવાનો ફિદા થઈને નાચે છે. ડાયરામાં જયારે જગદીશ ઠાકોરનો અવાજ ગુંજે છે ત્યારે યુવાધન હિલોળે ચડે છે. એક એકથી ચડિયાતી ફિલ્મો અને દરેકમાં તેમના અભિનયની પ્રશંસા તેમનો ચાહકો તરફથી તેમને ખિતાબ છે. ટૂંક સમયમાં તેઓ નિર્માતા ભગવાન વાઘેલા સાથે એક નવી ફિલ્મમાં જોવા મળશે. હજી ફિલ્મનું શૂટ ચાલુ છે. અગાઉ ભગવાન વાઘેલા સાથે ત્રણેક ફિલ્મો કરી ચુકેલા જગદીશ ઠાકોરને તેમની મનપસંદ ફિલ્મ ‘ઠાકોર નં. 1’ પ્રિય છે. દરેક ટોચની અભિનેત્રીઓ સાથે કામ કરી ચુકેલા જગદીશ ઠાકોરના ફિલ્મોગ્રાફમાં વધુ એક હિરોઈનનું નામ ઉમેરાવા જઈ રહ્યું છે. નિર્માતા – દિગ્દર્શક ભગવાન વાઘેલાની અપકમિંગ ફિલ્મ ‘બેવફા સાજણ’ માં તેમની હિરોઈન લાખો યુવા હૈયાઓની રાણી મમતા સોની છે. ‘બેવફા સાજણ’ માં આ જોડી પ્રથમવાર પડદા પર જોવા મળશે. અગાઉ જગદીશ ઠાકોર અને મમતા સોની ‘ઠાકોર નં. 1’ માં હતા પણ તેમની બંને વચ્ચે કોઈ સંવાદો નહોતા. હવે તે બંને વચ્ચેની કેમેસ્ટ્રી કેવી જામે છે તે તો ફિલ્મ રીલીઝ થાય પછી જ ખબર પડશે.

    ફિલ્મ ‘બેવફા સાજણ’ માં જગદીશ ઠાકોર જેમ રીઅલ લાઈફમાં સિંગર છે તે જ રીતે રીલ લાઈફમાં પણ સિંગર બતાવવામાં જ આવ્યા છે. સાથે સાથે તેમને મમતા સોની ફિલ્મની હિરોઈન સાથે એકતરફી પ્રેમ હોય છે. જેમાં હીરો હિરોઈનના એક ષડયંત્રનો ભોગ બને છે જેનો ફિલ્મના અંતે ફીરો બદલો લે છે. જગદીશ ઠાકોર ડાયરાકિંગ તો ચેહ જ જેથી તેને ધ્યાનમાં લઈને ફિલ્મના નિર્માતાએ એક સરસ ડાયરો પણ ફિલ્મમાં લીધો છે. હીરોના પિતાનું સપનું પૂરું કરવા હીરો શું વિદેશમાં ગાયક તરીકે પોતાની કેરિયર બનાવી શકે છે કે કેમ તે અહીં જાણવા મળશે. જગદીશ ઠાકોરની પ્રથમ ફિલ્મ ‘તું તો સાજણ મારા કાળજે કોરાણી’ હતી જેમાં તે એક સિંગર તરીકે જોવા મળ્યો હતો અને હવે આ બીજી ફિલ્મ છે ‘બેવફા સાજણ’ જેમાં જગદીશ ઠાકોર એક સિંગર તરીકે દર્શકો સામે આવશે. તેથી અભિનેતાને પણ ખૂબ ખુશી છે કે ફરી તેને આ પ્રકારનો રોલ મળ્યો. વચ્ચે જે પણ ફિલ્મો આવી તેમાં જગદીશે એક્શન હીરોની ભૂમિકાઓ વધુ ભજવી.

પ્ર – તમારી સાથે અન્ય કોઈ હીરો પણ ફિલ્મમાં હોય ત્યારે ડર રહે?
ઉ – એવું છે જ નહિ. મે તમામ પ્રકારની ફિલ્મો સ્વીકારી છે. મને નથી લાગતું કે ડબલ હીરોવાળી ફિલ્મો હોય તો ડરવાની જરૂર છે. તેઓ તેમનું પાત્ર ભજવે છે હું મારા પાત્રને ન્યાય આપવાનો પ્રયાસ કરૂ છું. મારી એવી ઘણી ફિલ્મો છે જેમાં હું સોલો હીરો તરીકે પણ છું અને બે હીરો હોય તેવી ફિલ્મો કરી ચુક્યો છું અને થોડા સમયમાં બીજી ફિલ્મો પણ આવશે. જેમાં મારી સાથે અન્ય અભિનેતાઓ પણ હશે. મારે બધા કલાકારો સાથે ખૂબ સારા સંબંધો છે. હું મારી બાજુમાં કયો કલાકાર છે તે નથી જોતો પરંતુ હું મારા રોલ પર જ વધુ મહેનત કરૂ છું કે આને વધુ સારૂ કઈ રીતે કરી શકાય.

પ્ર – તમારા પ્રોગ્રામો અને ફિલ્મો વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવો છો?
ઉ - પ્રોગ્રામો તો જયારે એની સીઝન હોય ત્યારે જ લઉં છું. હા, એકાદ દિવસ અને નજીકમાં જ જો પ્રોગ્રામ ગોઠવાયો હોય તો ફિલ્મનું શૂટ દિવસે પૂરું કરીને રાત્રે ડાયરો કરી લઉં છું. જયારે પ્રોગ્રામો ખૂબ વધી જાય ત્યારે ફિલ્મો બહુ ઓછી કરી નાખું છું. થોડી તકલીફ થાય પણ કરતો રહીશ તેમાં મને તાજગી મળે છે. કારણ કે, ક્યારેક ક્યારેક તમારે તમારા ચાહકોની રૂબરૂ થવું જોઈએ એવું હું માનું છું.  
પ્ર – અમુક ફિલ્મના પાત્રોનું નામ જગદીશ ઠાકોર જ કેમ?
ઉ – હું માનું છું કે ડાયરાઔમાં ઓડીયન્સ મને જગદીશ ઠાકોર મારા નામથી જ ઓળખે છે તેથી હું મારી ઘણી ફિલ્મોમાં દિગ્દર્શકોને મારૂ નામ જગદીશ ઠાકોર રાખવા જ સૂચવું છું. બીજા નામો પણ હું ફિલ્મોમાં રાખું છું. જેમ કે, અગ્નિ પરીક્ષા ફિલ્મમાં મારૂ નામ દેવરાજ હતું, વાવ ફિલ્મમાં લાખા ઠાકોર નામ હતું. જેના લીધે દર્શકોએ મારો સ્વીકાર કર્યો નહિ.




n  ગજ્જર નીલેશ 

pari parmar

એક યુવતી પોતાની જીંદગી ખુલ્લા મનથી જીવવા માંગે છે તો એ યુવતીના સાહસની આ ફિલ્મ છે - પરી પરમાર


    હમણાં થોડા સમય પહેલા જ સિને મેજિકના પાછલા એક અંકમાં જ એક ન્યુઝ આપેલા કે ફિલ્મ ‘કમલી તારી માયા લાગી’ ની હિરોઈનની મેકઅપ આર્ટીસ્ટને ફિલ્મના શુટિંગ દરમિયાન ભૂત વળગેલું. તે ફિલ્મની હિરોઈન પરી પરમારની મેકઅપ આર્ટીસ્ટ હતી. આ ફીલિંગ ત્યારે ફિલ્મની સેકન્ડ હિરોઈનને પણ થઇ હતી. તે એટલું વાસ્તવિક હતું કે એ સમયે કોઈનું મગજ કામ નહોતું કરતુ. ખેર, આપણે આડી વાતે ચડી ગયા. મૂળ હિરોઈન પરી પરમાર વિષે લખવાનું છે. નામ જેવું જ રૂપ છે તેનું અને સ્વભાવ એટલો સુંદર અને મળતાવડો કે કોઈપણ તેમની વાત માની જાય. પરી પરમારે અત્યાર સુધીમાં લગભગ ૨૫ જેટલી ફિલ્મો કરી છે જેમાં તેમની શરૂઆત જ ગાંગાણી પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘મારા રુદિયે રંગાણા તમે સાજણા’ થી થઇ હતી. એટલે કહી શકાય કે તેનામાં કેટલું ટેલેન્ટ હશે. ત્યારબાદ બરકત વઢવાણીયાની ‘ઘાયલ’ માં પણ દર્શકોએ પરીને અભિનય કરતા જોઈ હશે. હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં પણ પરી પોતાનો બહોળો ચાહકવર્ગ ધરાવે છે. હમણાં જ પરીએ સાઉથની એક ‘ડેડ આઈઝ’ નામની ફિલ્મ કરી છે. ટૂંક સમયમાં તે ફિલ્મ રીલીઝ થશે. હવે તેઓની એક ફિલ્મ ટૂંક સમયમાં જ રીલીઝ થવા જઈ રહી છે આતંક. જેમાં ગુજરાતી ફિલ્મોના મોટા કલાકારો ઉપરાંત ફિલ્મ પણ બીગ બજેટ બની છે. તે અચૂક પરી પરમારના ચાહકો તે અને આજની ફિલ્મ ‘કમલી તારી માયા લાગી’ નિહાળે. ‘કમલી તારી માયા લાગી’ ફિલ્મના શુટિંગ દરમિયાનની એવી રસપ્રદ હકીકતો પરીએ જણાવી કે, ફિલ્મના શૂટનો સમયગાળો બહુ ઓછો હતો અને અઢાર (૧૮) જેટલા સીન હજી શૂટ થવાના બાકી હતા. જેથી દરેક કલાકારોએ રાત દિવસ જોયા વગર સતત ૨૬ કલાક શૂટ કર્યું હતું અને ફિલ્મના નિર્માતા જનક પટેલ અને દિગ્દર્શક જય ચૌધરીને બની શકે એટલી મહેનત કરીને ખુશ કર્યા હતા. આમ જો દરેક કલાકાર નિર્માતા અને દિગ્દર્શકનું સારૂ વિચારીને ચાલે તો ફિલ્મ પણ ચાલે અને જે કર્યું છે તેનું પરિણામ સારૂ જ મળે છે. ફિલ્મના દરેક ડીપાર્ટમેન્ટના સહાયકોએ ખૂબ સપોર્ટ કર્યો અને ધાર્યા કરતા સારૂ કામ કરી શક્યા તેની પરીને ખુશી છે.

પ્ર – ફિલ્મના આપના રોલ વિષે?
ઉ – ફિલ્મમાં હું મેઈન લીડ ભૂમિકા ભજવી રહી છું. આદિવાસી યુવતી અને તેના કલ્ચર પર ફિલ્મ બની છે જેમાં હું એક આદિવાસી યુવતી છું જે તેના નીતિનિયમો અનુસાર જીવે છે. ફિલ્મ ખૂબ સરસ બની છે જેની સાથે ઘણી બધી એવી સારી અને નરસી યાદો જોડાયેલી છે એટલે મને આ ફિલ્મ બહુ યાદ રહેશે.

પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતાએ સેટ પર બહુ ઓછો સમય આપ્યો હતો એટલે વધારે મને તેમના વિષે ખ્યાલ નથી પરંતુ તેઓ ખૂબ જ સરસ ફિલ્મ બનાવી રહ્યા છે. એક અલગ વિષય તેમણે ગુજરાતી દર્શકો માટે પસંદ કર્યો છે તેના માટે હું તેમને અભિનંદન આપું છું. દિગ્દર્શક જય ચૌધરી ખૂબ ટેલેન્ટેડ વ્યક્તિ છે. બહુ સારૂ કામ કરી જાણે છે. મે જેટલા દિગ્દર્શકો સાથે કામ કર્યું છે તેના કરતા મને આ ફિલ્મમાં કામ કરવાની ખૂબ મજા આવી. પ્રોફેશનલી જય ચૌધરીનું વર્ક સરસ છે.

    વધુમાં પરી પરમાર દરેક યુવતીઓ માટે કહે છે કે, એક યુવતી પોતાની જીંદગી ખુલ્લા મનથી જીવવા માંગે છે તો એ યુવતીના સાહસની આ ફિલ્મ છે જે ગુજરાતી દર્શકોએ ચોક્કસ જોવી જોઈએ. દરેક યુવતી આપણા દેશમાં સ્વતંત્ર છે તેને પોતાની જિંદગીના દરેક ફૈસલા લેવાનો સંપૂર્ણ હક છે. જેને બીજા કોઈના દબાણમાં આવીને દબાવી દેવા ન જોઈએ. મારા વિષે કહું તો મને મારી લાઈફનો હજી સુધી એવો રોલ નથી મળ્યો જેને હું મારા માટે બેસ્ટ કહી શકું. મારે સ્ટંટ સીન હોય તેવી ફિલ્મો કરવી છે.
પ્ર – તમે સ્ટંટ સીન જાતે ભજવશો?
ઉ – હા ચોક્કસ, મને જો કોઈ સારી સ્ટંટ ફિલ્મ મળી જાય તો હું એ પાત્ર માટે મારી જાતને નીચોવીને તે સ્ટંટ સીન જાતે શૂટ કરીશ.      


n  ગજ્જર નીલેશ


jeet upendra

‘વ્હાલનો વારસદાર’ નો વ્હાલસોયો પુત્ર જીત ઉપેન્દ્ર, અભિનય તેની રગેરગમાં છે


    ત્રણ દાયકા જેટલો સમય થયો જીત ઉપેન્દ્રને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં. હિન્દી અને ગુજરાતી ઉપરાંત એણે રાજસ્થાની, બંગાળી, ભોજપુરી, તમિળ અને મલયાલમ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું. એકશન અભિનેતાની ઈમેજ ધરાવનાર જીત તેની ગુજરાતી ફિલ્મ શિખંડીમાં નવા અવતારમાં જોવા મળ્યા હતા. અહીં એ ફિલ્મ ઉપરાંત જિંદગી વિશે દિલથી વાત કરે છે. હિન્દી ફિલ્મો વ્યંઢળના પાત્ર પર ઘણી ફિલ્મો બની ચૂકી છે, પણ ગુજરાતીમાં વ્યંઢળની જિંદગી પર આ પ્રથમ ફિલ્મ બની હતી. ગુજરાતી ફિલ્મોમાં તો કામ કર્યું જ છે પરંતુ તેઓને જયારે બીજી ભાષાની ફિલ્મો વિષે પૂછવામાં આવ્યું કે તે ફિલ્મો કરતી વખતે ભાષા નથી નડતી? તો તેમણે કહેલું કે, મલયાલમ મારી માતૃભાષા એટલે એ સહેલું જ હતું. બીજી ભાષાઓમાં ફિલ્મો કરવી એ કંઈ તકલીફવાળું નથી હોતું. તેમાં કઈ મોટી વાત કે રોકેટ સાયન્સ નથી. મને નસીરુદ્દિન શાહની વાત યાદ છે. એ કહેતા કે કલાકારને કોઈ ભાષા નથી હોતી. હાલ જીત ઉપેન્દ્ર નિર્માતા શૈલેશ શાહની ફિલ્મ ‘વ્હાલનો વારસદાર’ માં આવી રહ્યા છે. જે ફિલ્મ બાપ દીકરાના સંબંધ અને સંજોગો પર આધારિત છે. ફિલ્મની વાર્તા ખૂબ સ્ટ્રોંગ લખવામાં આવી છે અને આમેય જીત પાસે જેવા તેવા પત્રોની અપેક્ષા તો તેના ચાહકો પણ નથી રાખતા.

પ્ર – ફિલ્મના આપના પાત્ર વિષે?
ઉ – ફિલ્મનો રોલ કહીશ પણ વધુ નહિ કહું. આમાં દર્શકો મને નેગેટીવ પાત્રમાં જોશે કે પોઝીટીવ પાત્ર હશે તે હું અત્યારે નહિ કહું. ફિલ્મમાં એક વ્યક્તિની જીવન સફર બતાવવામાં આવી છે. ફિલ્મના નિર્માતા શૈલેશ શાહ અને દિગ્દર્શક વસંત નારકર સાથે હું બીજી ફિલ્મ કરી રહ્યો છું. તેમની સાથે કામ કરવાની મજા જ કંઇક અલગ હોય છે. બહુ ઓછા દિગ્દર્શકો હોય છે જે અભિનેતા બનીને કામ કરી જાણે છે. જેમાના વસંત નારકર છે. મારી પાસે તેમણે લેડી દબંગમાં કોમેડી કરાવી અને આ ફિલ્મમાં તેઓએ મારી પાસે સરસ કામ લીધું છે. તેમને અભિનયમાં જે જોઈએ છે તે તેઓ લીધા સિવાય ઝંખતા નથી. તેનામાં એ કાબેલિયત છે જે મે બીજામાં બહુ ઓછી જોઈ છે.

પ્ર – તમારા બીજા કલાકારો સાથેના અનુભવો જણાવશો.
ઉ – દિશા પટેલ સાથે આ મારી બીજી ફિલ્મ છે. તેની સાથે પણ કામ કરવાની મજા આવી. મેહુલ બુચ સાથે પણ આ મારી બીજી જ ફિલ્મ છે. (હશે છે) તેમની સાથે અગાઉ ‘હરપાલદે શક્તિના અમર અજવાળા’ માં મે કામ કરેલું છે. મારા ખાસ મિત્ર છે. સાથે સાથે ચીની રાવલ નામની અભિનેત્રી આ ફિલ્મમાં મારી પત્નીનું પાત્ર ભજવી રહી છે. શી ઈઝ માઈન્ડ બ્લોઇંગ એક્ટ્રેસ. ખૂબ જ સમજુ અને બધાથી અલગ સ્વભાવ છે તેનો. તેમની સાથે પણ કામ કરવાનું મને ગમ્યું.

પ્ર – તમે મરાઠી ફિલ્મ હજી નથી કરી?
ઉ - ઘણાં વર્ષો પહેલાં અરૂણ કર્ણાટકીની દીકરી પ્રિયા અભિનેત્રી હતી ત્યારે એમની મરાઠી ફિલ્મ કરવાનો હતો. કમનસીબે એમનું મૃત્યું થતા એ પ્રોજેક્ટ શરૂ ન થયો. મને મરાઠી ફિલ્મો કરવી છે. સારી ઓફર હશે તો ચોક્કસ સ્વીકારીશ.
પ્ર – શુટિંગ પત્યા પછી ફ્રેશ થવા શું કરો છો?
ઉ – શુટિંગ પૂરું કર્યા બાદ હું એકદમ હળવાશ અનુભવું છું. કોઈ સારા પુસ્તકો વાંચું છું. ટીવી પર જે નવા નવા પ્રોગ્રામો કે કોઈ ફિલ્મ જોઈ લઉં છું.
પ્ર – તમે તમારી કઈ ફિલ્મ આખી જોઈ છે?
ઉ – હું મારી દરેક ફિલ્મો જોવાનું ક્યારેય ચૂકતો નથી અને તે પણ થીયેટરમાં જ બેસીને જોઉં છું. કારણ કે, ત્યાં દર્શકોનો રિસ્પોન્સ જોઇને અને તેઓ મારી કઈ અભિનય અદા પર ફિદા છે તે જોઇને હું જાણું છું કે મારા ચાહકોને મારી પાસેથી શેની અપેક્ષા છે.
પ્ર – ગોવિંદભાઈ પટેલ વિષે?
ઉ – મે એમની સાથે કોઈ ફિલ્મ નથી કરી તેનું મને દુખ છે. મારા છૂટાછેડા પછી લગભગ મે છ – સાત વર્ષ સુધી કામ નહોતું કર્યું. તે દરમિયાન એક ફિલ્મ બની હતી ‘સંત શ્રી સવાભગત’. તે ફિલ્મનું કાસ્ટિંગ જયારે ચાલુ હતું ત્યારે ગોવિંદભાઈએ તેના ડિરેક્ટરને કહ્યું હતું કે, જીત ઉપેન્દ્ર નામે એક એક્ટર છે જે ઘણા સમયથી જોવા નથી મળી રહ્યો. તેમના હિસાબે હું તે રોલમાં પરફેક્ટ હતો. તેમણે મારો કોન્ટેક્ટ કર્યો ત્યારે હું તેમની સાથે જોડાયેલો. આજે જે મારા ગુરુ છે વાસુદેવજી મહારાજ જેમણે જ ફિલ્મ બનાવી હતી. તે ફિલ્મ મે ગોવિંદભાઈની ભલામણથી કરી હતી. સંત શ્રી સવાભગત.



n  ગજ્જર નીલેશ 

disha patel

‘ધમો ધમાલિયો’ ની અભિનેત્રી દિશા સલમાન ખાન સાથે ‘કેહના ચાહા કહ ના સકે’ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કરશે


    એક કરોડપતિ પરિવારમાંથી આવતી યુવતી જેનું મોટામાં મોટું દુખ એ છે કે તેના માતા પિતાનું અવસાન થઇ ચુક્યું હોય છે અને પોતે પોતાના ભાઈ સાથે રહે છે. તેનો મોટો ભાઈ જ તેને ખૂબ લાડ લડાવી મોટી કરે છે. જેના માટે બહેન માટે એક સારો મુરતિયો શોધીને સાસરે વળાવવી પણ સાથે સાથે એ એવું પણ નથી ઈચ્છતો કે કોઈની પ્રેમજાળમાં ફસાઈને બહેન પોતાની જીંદગી બરબાદ કરે. પરંતુ નાનપણનો પ્રેમ કેમ ભૂલાય જે તે યુવતીને થયેલો હોય છે તેના જ ગામના એક યુવક સાથે. જેને પિતા સમાન ભાઈ મંજુરી આપતો નથી અને પોતાનું પોત પ્રકાશે છે. થોડોક વિયોગ અને સપનાઓમાં રચતી યુવતીને એમ જ હોય છે કે હવે મારો પ્રેમ મને પાછો મળશે કે નહિ. બંનેના પ્રેમમાં વિલન બને છે જોરૂનો ભાઈ એટલે સાળો જેણે બહેનને લાડકોડથી ઉછેરી હોય છે. (બધા સાળા આવા જ હોય) આવી મનોરંજક ફિલ્મ માટે દિશા પટેલને ખૂબ જ ઉત્સાહ છે કે તેનું પાત્ર ફિલ્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. અત્યારે દરેક ફિલ્મોમાં હીરો જ પડદા પર છવાઈ જતો હોય છે પણ યોગેશ પટેલ નિર્મિત ફિલ્મ ‘ધામો ધમાલિયો’ ફિલ્મમાં દિશા પટેલ છવાઈ જશે જેની નોંધ અત્યારથી જ લેવા જેવી છે.

    દિશા પટેલ કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલા પોતાનું કેરેક્ટર જોવે છે. ફિલ્મમાં તે પાત્ર દર્શકોને કેટલું ગમશે. તેનું મહત્વ ફિલ્મમાં શું છે તેના પર જ દિશા પટેલ ફિલ્મ લે છે. તેમના માટે પાત્ર મહત્વનું છે નહિ કે બીજી કોઈ વસ્તુ. સાથે સાથે હંમેશા તેઓ સાચું કહેવામાં માને છે અને અત્યારના જમાનામાં કોઈને સાચું કહેવું તે પણ એક દાદ માગી લે તેવી વાત છે. કારણ કે અમુક લોકોને સાચું ખટકતું હોય છે પણ જે છે તે કંઇ બદલાઈ જવાનું તો છે નહિ. તો તેનાથી મોઢું ફેરવીને શો ફાયદો?
    અત્યારે દરેક કલાકાર સોલો ફિલ્મ હોય તો જ સ્વીકારે છે જયારે દિશા પટેલ એક એવી અભિનેત્રી છે જેને તે માટે કોઈ અફ્સોસ નથી કે તે સોલો ફિલ્મ હોય કે કોઈપણ મલ્ટીસ્ટારર ફિલ્મ હોય. તેના માટે પોતાનું પાત્ર જીવંત અને સારૂ કઈ રીતે બને તે વધારે મહત્વનું છે. તેના માટે દિશા પટેલ ખૂબ મહેનત કરે છે. તેઓ એવું માને છે કે તમે પાત્રને પૂરતો ન્યાય આપશો તો ગમે તેવું પાત્ર હશે તો પણ તે ખીલી ઉઠશે.

    ફિલ્મના નિર્માતા યોગેશ પટેલ અને દિગ્દર્શક હીરાલાલ ખત્રી વિષે દિશા પટેલ જણાવે છે કે બંનેનું કામ ખૂબ જ સરસ છે. તેમની સાથે કામ કરવાની મને મજા આવી. ફિલ્મમાં દરેક સીન સરસ અને જોવાલાયક બની રહ્યા છે જેના માટે હું હીરાલાલ ખત્રીને થેન્ક્સ કહીશ કે તેમણે પોતાના અનુભવનો નીચોડ આ ફિલ્મમાં કાઢ્યો છે.
    આ ઉપરાંત ખુશીની વાત એ છે કે દિશા પટેલ નિર્માતા શૈલેશ શાહની હિન્દી ફિલ્મ ‘કેહના ચાહા કહ ના સકે’ ફિલ્મથી સલમાન ખાન સાથે મેઈન લીડ ભૂમિકા ભજવતી જોવા મળવાની છે. આ ફિલ્મ દિશા પટેલના જીવનનો ટર્નીંગ પોઈન્ટ સાબિત થશે. ગુજરાતીમાંથી હિન્દી ફિલ્મોમાં પ્રયાણ કરી રહેલી દિશા પટેલ પોતાના લાજવાબ અને મનમોહક અભિનય માટે ગુજરાતી દર્શકોની માનીતી અદાકારા છે.




n  ગજ્જર નીલેશ 

kanti prajapati

સમાજમાં દાખલો બેસાડવા કાંતિ પ્રજાપતિએ ફિલ્મ બનાવી ‘માવતર પહેલા મળે મને મૌત’


    નિર્માતા કાન્તીભાઈ પ્રજાપતિની ટૂંક સમયમાં આવી રહેલી ફિલ્મ ‘માવતર પહેલા મળે મને મૌત’ લઈને આવી રહ્યા છે. જે ફિલ્મમાં માતા – પિતા અને પોતાના દીકરાની વાત છે. કેવી રીતે દીકરા માતા – પિતાનું કહ્યું નથી માનતા અને આગળ જતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ત્યારે સૌથી પહેલા ઘરના વડીલ જ તેની પડખે ઉભા રહે છે. ફિલ્મનું શીર્ષક પણ એ જ કહે છે કે મારા માતા પિતા પર કોઈ સંકટ આવે તે પહેલા તે સંકટ દીકરો પોતાના માથે લઇ લે. ફિલ્મનો વિષય આજના સમાજ પર આધારિત છે અને એકદમ હળવાશથી તેને લેવામાં આવ્યો છે. એક સંયુક્ત પરિવારમાં જયારે વિખવાદ સર્જાય છે ત્યારે શું પરિણામ આવે તે ફિલ્મ ‘માવતર પહેલા મળે મને મૌત’ માં સરસ વર્ણન કરવામાં આવ્યું છે. વધુમાં એ કુટુંબમાં જયારે કોઈ બહારના વ્યક્તિનું આગમન થાય છે ત્યારે તો જોવા જેવી થાય છે. એ વિખવાદ જો મિલકત પ્પચાવી પાડવાનો હોય તો શું થાય. તે તો લોકો જાણે જ છે અને આવા કિસ્સાઓ સમાજમાં દર બે મીનીટે બનતા રહે છે. અમુક વાતો બહાર આવે ચેહ તો અમુકમાં ભીનું સંકેલાઈ જતું હોય છે. પોતે કંઇ ન કર્યું હોવા છતાં ગુનો કબુલ કરવો અને પોતાના માબાપને તકલીફ સહેવાનો વારો ન આવે. આવી પારિવારિક ફિલ્મ કાન્તીભાઈ પ્રજાપતિએ બનાવી અને સમાજમાં દાખલો બેસાડવા તેઓએ આ સાહસ કર્યું તે માટે તેમને ધન્યવાદ છે. ફિલ્મ રક્ષાબંધન પર રીલીઝ કરવાનું તેઓ વિચારી રહ્યા છે. જેના લીધે દર્શકો પણ મળી રહે અને ફિલ્મ પારિવારિક હોય સારી ચાલે તેવી તેઓ આશા રાખી રહ્યા છે.
    ફિલ્મના નિર્માતા કાંતિ એસ. પ્રજાપતિ અને રાજુ પ્રજાપતિ છે. સહનિર્માતાઓ કમલેશ પ્રજાપતિ અને શૈલેશ પ્રજાપતિ છે. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે ફિરોઝ શેખે. કથા લખી છે કયુમ મોમીને જયારે પટકથા લખી હ્ચે જનક વ્યાસ અને જય ચૌધરીએ. ફિલ્મના ગીતો ખૂબ જ કર્ણપ્રિય બન્યા છે. કયુમ મોમીનના લખેલા ગીતોને સંગીતથી મઢ્યા છે સારેગામા સ્ટુડીઓના અનવર શેખે. ધર્મેશ ચાંચડીયા ફિલમના એડિટર છે. ડાન્સ માસ્ટર મહેશ બલરાજ છે જયારે ફાઈટ માસ્ટર ચંદન કુરેશી છે. ફિલ્મના કલાકારોમાં ગુજરાતના જાણીતા કલાકારો ઈશ્વર ઠાકોર, ટીના રાઠોડ, ડીમ્પલ ઉપાધ્યાય, રવિ કુમાર, કોમલ પંચાલ, ઈશ્વર સમીકર, મનોજ રાવ, વંદન સરવૈયા, મીનાક્ષીબેન પોતાના અભિનયથી ફિલ્મને ચાર ચંદ લગાવશે. ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઇ ગયું છે અને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રીલીઝ થાય તેવી સંભાવના છે.



n  ગજ્જર નીલેશ 

Friday 30 October 2015

yunus shekh

ગુજરાતી ફિલ્મ ચલાવો અભિયાન અંતર્ગત ભાવનગરના યુવાનો દ્વારા બની રહેલી શોર્ટ ફિલ્મ ‘અનુરાગ’



    ભાવનગરના યુવાનો મિત્રો સાથે મળીને કંઇક નવું સર્જન કરી રહ્યા છે જેનો થોડા સમયમાં જ ખ્યાલ આવી જશે. તેઓએ ટૂંક સમયમાં ૧૦ જેટલી શોર્ટ ફિલ્મો બનાવવાનો વિચાર કર્યો છે જેમાં ‘અનુરાગ’ નામની એક ફિલ્મથી તેઓએ શુભ મુહુર્ત કરીને શરૂઆત તો કરી જ દીધી છે. ફિલ્મનું શીર્ષક ‘અનુરાગ’ છે જેનો મતલબ વ્યક્તિમાં કંઇક કહેવાની ઝંખના હોય પણ તે કોઈને કહી ન શકતો હોય. જેમાં મેઈન લીડ ભૂમિકા પણ તેના પર જ આકાર લે છે. ફિલ્મ આશરે ૧૫ મીનીટની છે જેમાં પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. આટલી નાની ફિલ્મ હોવા છતાં પ્રેક્ષકોને ઘણું બધું સમજાવી જાય છે. આજના યુવાનો જેઓ પ્રેમમાં પાગલ હોય તેની સાથે શું શું થઇ શકે છે તે વાત આ શોર્ટ ફિલ્મમાં બતાવવામાં આવી છે. જેમાં એક પેઈન્ટર કેવી રીતે પ્રેમમાં પડે છે અને તેની સાથે શું પરિણામ આવે હ્ચે તે જોવા જેવી અને ક્યાંકને ક્યાંક બની હોય તેવું આપણને લાગે છે. ફક્ત યુવાનો માટે જ નહિ પરંતુ યુવતીઓએ પણ આ ફિલ્મથી પાઠ લેવા જેવું છે કે તેમનો સ્વભાવ અને લાગણી બીજા માટે કેવી હોય. ટીનએજમાં જયારે પ્રેમ થઇ જાય અને જયારે એકરાર ન થઇ શકે અને જો એકરાર થઇ જાય અને સામે એક શરત પણ હોય તો? આટલા બધા સવાલોના જવાબો ફક્ત આ ફિલ્મ ‘અનુરાગ’ માં જ મળે છે.  

    બીજા માટે પોતાનું સર્વસ્વ લુટાવી દેવું પણ જેના માટે આપણે આ બધું કરતા હોઈએ તેને જ આપણા પ્રેમની ખબર ન હોય તો શું કરવું તેની સમજ નથી પડતી. આવું આજકાલના યુવાનોમાં થતું હોય છે. ફિલ્મનો વિષય એકદમ આજની પેદ્ધીને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યો છે. તમે જેને પ્રેમ કરતા હો તે પાત્ર જ તમને કોઈ રીતે કલ્પનામાં કંઇક એવું કામ કરતુ દેખાય કે જેને તમે અવગણી દો. ત્યારે કેવી અનુભૂતિ થાય તે હવે દર્શકોએ વિચારવું રહ્યું.

    ફિલ્મના દિગ્દર્શક ચિંતન ત્રિવેદી છે જેઓ આ અગાઉ છ શોર્ટ moviમુવી બનાવી ચુક્યા છે. જેમાં ‘ફ્રેન્ડશીપ ઈઝ નેવર ફેઈલ્સ, ઇટ્સ નેવર ફેઈલ્સ’ જે ફિલ્મ મિત્રતા પર હતી. ‘ધ ડીલર’ જે આખી એક્શનબેઝ ફિલ્મ હતી. ત્યારબાદ અડધા કલાકનો એક પ્રયોગ કર્યો અને ફિલ્મ બનાવી ‘ધ ડિસ્ક અ ડે ઓફ મિસ્ટ્રી’ જે ફિલ્મમાં તેઓએ સ્વતંત્ર દિગ્દર્શન કર્યું. અગાઉની બે ફિલ્મોમાં એમની સાથે નરેન્દ્ર ત્રિવેદી હતા. તે પછી ચિંતન ત્રિવેદી એક કોમેડી કોન્સેપ્ટ લઈને આવ્યા. ‘કિડનેપ વન્સમોર’ નામની આ ફિલ્મ હાલ એડીટીંગમાં તૈયાર થઇ રહી છે. એક ગુજરાતી વિષયવસ્તુ સાથેની ફિલ્મ પણ પેન્ડીંગ છે જે ટૂંક સમયમાં શરૂ થાય તેવી શક્યતા છે જેનું નામ ‘વુઝ રિસ્પોન્સીબલ’ છે. ટૂંક સમયમાં પહેલા એક ગુજરાત શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલ નામની સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં તમને સમયગાળો આપવામાં આવે કે તમારે આટલા સમયમાં કોઈપણ વિષય લઈને ફિલ્મ યિયર કરવાની રહે. જેમાં યુવા દિગ્દર્શક ચિંતન ત્રિવેદીએ ફક્ત ૯૬ કલાકના સાવ ઓછા સમયમાં એક ફિલ્મ તૈયાર કરીને નિર્ણાયકોની સામે પ્રદર્શિત કરી દીધી. જેમાં તેમણે ‘ઈઝ ધીસ ફ્યુચર’ નામની શોર્ટ ફિલ્મ બનાવી અને મજાની વાત એ છે કે ફિલ્મમાં એવી એવી ટેકનીક્સનો ઉપયોગ કરવામાં આવ્યો જે જોઇને નિર્ણાયકો પણ તેને પસંદ કરવામાં પોતાને રોકી શક્યા નહિ અને ફિલ્મને રનરઅપમાં સ્થાન મળ્યું. બીજી એ વાત કે ફિલ્મમાં એકપણ ડાયલોગ નથી. ફક્ત તે ફિલ્મ અભિનય પર જ બનાવવામાં આવી છે. જે બહુ દાદ માગી લે તેવી વાત છે. આવા સર્જકો જો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવે તો કંઇક નવું પરિણામ મળી શકે છે. રેડ ક્યુબ એનીમેશન સંસ્થા તરફથી ભાવનગરમાં એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું જેમાં ‘ઓન્લી મી’ નામની ચિંતન ત્રિવેદીની ફિલ્મને પાંચમું સ્થાન મળ્યું હતું જે ગૌરવ લેવા જેવી બાબત છે. ભલે પાંચમું સ્થાન મળ્યું પણ તેઓ ત્યાં સુધી પહોચ્યા તો ખરાને.

    ‘અનુરાગ’ નામની આ શોર્ટ ફિલ્મના નિર્માતા અર્જુનસિંહ સરવૈયા છે. જેઓ ઘણા લાંબા સમયથી એક સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર ગુજરાતી ફિલ્મ ચલાવો નામનું અભિયાન ચલાવી રહ્યા છે. જેને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ઘણો સપોર્ટ મળી રહ્યો છે. નિર્માતા તરીકે બીજું નામ યુનુસ શેખ છે જેઓ આ ફિલ્મમાં ટાઈટલ રોલ પણ કરી રહ્યા છે. ‘અનુરાગ’ ફિલ્મનો હીરો પેઈન્ટર બતાવવામાં આવ્યો છે અને મજાની વાત એ છે કે યુનુસ શેખ પોતે પણ વાસ્તવિક જીંદગીમાં એક કામિયાબ પેઈન્ટર પણ છે. જેના દોરેલા ચિત્રોનો જ સમાવેશ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. દિગ્દર્શક ચિંતન ત્રિવેદી છે. કલાકારોમાં યુનુસ શેખ, દિપાલી લીંબડીયા, અમિત ગલાણી અને કલ્પેશ જોશી છે. કેમેરાવર્ક મંથન પંડ્યાએ સંભાળી હતી. એડીટીંગ ચિંતન ત્રિવેદીનું જ છે.  



n  ગજ્જર નીલેશ 

heera lal khatri

એક દિગ્દર્શક કોઈ કલાકાર કે ફિલ્મ પ્રત્યે ઓરમાયું વર્તન ન કરી શકે - હીરાલાલ ખત્રી


    હીરાલાલ ખત્રી દિગ્દર્શિત બે ફિલ્મો આવી રહી છે. એક તો અર્બન ટાઈપ ‘લવમાં એમ.બી.બી.એસ.’ અને બીજી ‘ધમો ધમાલિયો’ જેના નિર્માતા યોગેશ પટેલ છે. અત્યારે દરેક ગુજરાતી ફિલ્મોમાં આમ જનતાને કંઇક ને કંઇક મેસેજ આપવાનો રીવાજ છે તો આ ફિલ્મમાં પણ એવા જ કેટલાક તથ્યો દિગ્દર્શક હીરાલાલ ખત્રીએ ઉજાગર કર્યા છે. જે જોઇને દર્શકોને ફિલ્મમાં નવીનતા લાગશે. ફિલ્મનો વિષય અમીર અને ગરીબ વચ્ચેના ભેદભાવનો છે. જાતિવાદમાં જે ઊંચનીંચ લોકોએ બનાવી દીધી છે તેને અનુલક્ષીને ફિલ્મ પર ભાર મુકવામાં આવ્યો છે. આ પહેલા જીંદગી લખી મેં તો પીયુ તારે નામ, આંખમાં કંકુ કપાળે કાજળ, ચાણક્યની છેલ્લી ચાલ વગેરે જેવી ફિલ્મો બનાવી ચુકેલા હીરાલાલ ખત્રીની આ એવી ફિલ્મ છે જે અત્યારથી જ દર્શકોને રાહ જોવા મજબૂર કરી રહી છે. કારણકે ફિલ્મનો વિષય ભલે જુનો રહ્યો પણ તેને અલગ ઢબથી રજૂ કરવાનો શ્રેય હીરાલાલ ખત્રીને જાય છે. નવા કલાકારો જેને ફિલ્મોનું નોલેજ જ નથી અને હીરો બની જાય છે તેને તેઓ કહે છે કે ખાસ કાળજી રાખીને ટ્રીટ કરવા પડે છે. તેઓને દરેક દ્રશ્ય ફિલ્માવતી વખતે તેની સાથે તે સીન બાબતે ઘણી ચર્ચા કરવી પડે છે કે, ભાઈ આમ નહિ આમ કર. ચોખ્ખી વાત છે કે કોઈ નવો કલાકાર જે પહેલીવાર અભિનય કરી રહ્યો હોય તેને અનુભવ ન હોય એટલે એને થોડી તકલીફ પડે છે. અમારા નિર્માતા યોગેશ પટેલની જ વાત કરૂ તો તેમનામાં શીખવાની ધગશ છે, સારો અભિનય કરી જાણે છે. તે વ્યક્તિ તુરંત સમજી જાય છે કે ડિરેક્ટર શું કહેવા માંગે છે અને તરત તેને અભિનયમાં અનુસરે છે.

પ્ર – સાથે સાથે બોડી લેન્ગવેજ પણ જરૂરી છે?
ઉ – તમારા અભિનયમાં તમે ફક્ત ડાયલોગ બોલીને અભિનય કરી જાણો તે ન ચાલે. સાથે સાથે શરીરનું હલનચલન પણ અભિનયમાં જરૂરી છે જ. અમારા નિર્માતા યોગેશ પટેલનું બોડી સાઉથની ફિલ્મોના હીરો જેવું છે જેવું ગુજરાતી ફિલ્મોમાં નથી જોવા મળ્યું. ફિલ્મમાં વધારે જરૂર તમારી એક્ટિંગ પર હોય છે નહિ કે તમારા બોડી પર. મારૂ જે પાત્ર આ ફિલ્મમાં હતું તે તેમણે મને આ તેમની ફિલ્મમાં બખૂબી નિભાવી બતાવ્યું છે.

પ્ર – ફિલ્મમાં તેમના પર જ ધ્યાન વધારે આપવામાં આવ્યું છે?
ઉ – ના, આ માહિતી તમને એકદમ ખોટી મળી છે. ભલે તમને જેમણે પણ કહ્યું હોય પણ આમાં હું સંમત નથી. કારણકે આ ફિલ્મમાં ભલે હીરો જ મારા નિર્માતા હોય. પરંતુ એમની સામે હું પહેલા ડિરેક્ટર છું. એટલે ડિરેક્ટરની એક જવાબદારી હોય છે કે તેને દરેક કલાકાર પાસે ઉત્તમમાં ઉત્તમ કામ લેવું. દિગ્દર્શકને જ સ્ટોરીની સંપૂર્ણ માહિતી હોય છે. દિગ્દર્શક સ્ટોરી પ્રત્યે કે કોઈ કલાકાર પ્રત્યે ગદ્દારી કરે તો તેનું કામ તરત દેખાઈ જાય કે આમાં તો આવું જ બધું કરેલું છે. વધારે તમે ફિલ્મ પડદા પર આવે ત્યારે મને કહેજો કે ફિલ્મ કેવી બની છે. મે મારી ફિલ્મમાં વિષય સાથે કોઈપણ જાતની છેડછાડ નથી કરી.

    શ્રી ક્રિશ્નાયોગ ફિલ્મ્સ આર્ટના બેનરમાં બની રહેલી ફિલ્મ ‘ધમો ધમાલિયો’ ના નિર્માતા યોગેશ પટેલ છે. સહનિર્માતા ચાણક્યગીરી ગોસ્વામી છે. દિગ્દર્શનનું સુકાન સાંભળ્યું છે હીરાલાલ ખત્રીએ જયારે સહદિગ્દર્શનની જવાબદારી વિભાબેન જગદીશભાઈ ઠક્કર નિભાવી છે. કથા તથા સંવાદો રસિક નિર્મલના છે અને પટકથા હીરાલાલ ખત્રીની છે. ગીતો લખ્યા છે ઋચાસિંગ ગૌતમે જેને સંગીત આપ્યું છે શ્રેયાંક સોનીએ. ફિલ્મના નયનરમ્ય દ્રશ્યોને કેમેરે કંડાર્યા છે મનીષ વ્યાસે. ફિલ્મના કલાકારોને ઠુમકા લગાવ્યા છે અશ્વિન ગોહિલ અને મહેશ બલરાજે જયારે ફાઈટ માસ્ટર નિસાર ખાન છે. કલાકારોમાં યોગેશ કુમાર, દિશા પટેલ, કમલેશ બારોટ, ઝીલ મહેતા, બિમલ ત્રિવેદી, રૂપલ દેસાઈ, ત્રંબક જોશી, કૌશિકા ગોસ્વામી, રોહિત મહેતા, જાગૃતિ ગોસ્વામી, પરેશ ભટ્ટ, ઇકબાલ બહુરૂપી વગેરે પોતાની કલાનો કસબ ફિલ્મમાં બતાવશે. ખાસ મહેમાન કલાકાર તરીકે ગુજરાતના મીનીસ્ટર દિલીપ સંઘાણીના પુત્ર મનીષ સંઘાણી છે. ફિલ્મ ટૂંક જ સમયમાં રીલીઝ થશે.



n  ગજ્જર નીલેશ