facebook

Thursday 29 October 2015

bhagwan vaghela

ફિલ્મની સ્ટોરી મજબૂત અને મનોરંજક હશે તો દર્શકો ફિલ્મ જોવા આવવાના જ છે - ભગવાન વાઘેલા


    ભગવાન વાઘેલા એક એવું નામ જેને હવે ઇન્ડસ્ટ્રીઝમાં ઓળખની જરૂર નથી. તેમની દરેક ફિલ્મો તેમના પ્રોડક્શનના નામથી અને કલાકારોના લાજવાબ અભિનયથી જ ઓળખાય છે. સતત ફિલ્મો બનાવી રહેલા અને ફિલ્મોમાં કામ કરતા નાના મોટા તમામ લોકો જે તેમની ફિલ્મો સાથે જોડાયેલા છે તેના ખરા હૃદયથી આભાર માને છે. ફિલ્મો, તેનું નિર્માણ, દિગ્દર્શન, તેની કથા – પટકથા, ગીતો વગેરે હંમેશા ભગવાન વાઘેલા પોતે જ તૈયાર કરે છે. એટલે જ તેમના ગીતો ગુજરાતી પ્રેક્ષકોમાં પ્રોપ્યુલર થયા છે. તેમની એક ફિલ્મ ‘મને રૂદિયે વ્હાલા બાપા સીતારામ’ માં જયારે હિતુ કનોડિયાની એન્ટ્રી થાય છે ત્યારે તે કહે છે ‘હું ભગવાન વાઘેલા’ ત્યારે ખરેખર તાળીઓ પાડવાનું મન થાય છે. એથી પણ વધુ કહીએ તો ભગવાન વાઘેલા ઘણા નવા કલાકારોને તક આપીને તેમની કેરિયર બનાવવા માટે હંમેશા તૈયાર હોય છે. તેમને એવું લાગે કે આ વ્યક્તિમાં કંઇક તો આવડત છે તેને તેઓ તક આપે છે. જેમાં વિશાળ ઠાકોર અને કલ્પેશ પ્રજાપતિ તેમની સાથે જ રહીને ઘડાયેલા કલાકારો છે. હાલ તેઓ તેમના બેનર ‘કલામંદિર ફિલ્મ્સ’ માં વધુ એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મનું નામ ‘બેવફા સાજણ’ છે. આ ફિલ્મથી તેઓ ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે આ ફિલ્મમાં તેઓએ પડદા પર પ્રથમવાર જગદીશ ઠાકોર અને મમતા સોનીને સાથે લીધા છે. અગાઉ મમતા સોનીએ તેમની ફિલ્મ ‘ઠાકોર નં. 1’ માં એક આઈટમ સોંગ કર્યું હતું. જેથી કહી શકાય કે હવે તેઓ મેઈન લીડ ભૂમિકામાં જ મમતાને લઇ રહ્યા હોય. તેમની દરેક ફિલ્મોને પ્રેક્ષકોએ વખાણી છે જેથી તેઓ કહે છે કે અમારો આ એક પ્રયાસ છે કે જગદીશ ઠાકોર અને મમતા સોનીની જોડી હજી સુધી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. તેથી જો અમને જરા પણ સફળ થઈશું તો અમને એમ લાગશે કે અમે જે કામ કર્યું છે તે એળે નથી ગયું.

પ્ર – તમારી છેલ્લી ફિલ્મને કેવો રિસ્પોન્સ મળેલો?
ઉ – મારી છેલ્લી ફિલ્મ ‘ઠાકોર નં. 1’ ને પ્રેક્ષકોએ વખાણી હતી. ફિલ્મનો વિષય લોકોને ખૂબ પસંદ પડેલો. તેના ગીતો એક લવ સોંગ, આઈટમ સોંગ વગેરેથી ફિલ્મમાં ઘણો સારો આવકાર મળ્યો હતો. એક ફિલ્મ ઘણા બધા લોકો દ્વારા બનતી હોય છે જેમાં કોઈ એકને ફિલ્મનો યશ આપવો યોગ્ય નથી. જો ફિલ્મ ચાલી હોય તો બધા એમ જ કહે છે કે મારે લીધે ફિલ્મ ચાલી પણ એવું નથી. ફિલ્મની સફળતા પાછળ ઘણા બધા લોકો હોય છે. ફિલ્મની સ્ટોરી મજબૂત અને મનોરંજક હશે તો દર્શકો ફિલ્મ જોવા આવવાના જ છે.
પ્ર – અત્યારે સ્ત્રીકેન્દ્રિત ફિલ્મો વધુ બને છે તો તમે બનાવશો?
ઉ – હું અત્યારે આ ફિલ્મ શરૂ કરી રહ્યો છું જેના પછી મારો પણ એવો જ વિચાર છે કે એક સ્ત્રીકેન્દ્રિત ફિલ્મ બનવું. જેના પર અમે અત્યારથી વિચારવાનું તો શરૂ કરી જ દીધું છે કે એવી કોઈ વાર્તા હોય જે હજી સુધી ગુજરાતી ફિલ્મોમાં આવી ના હોય.

    ૫ મે થી ભગવાન વાઘેલા નિર્મિત ફિલ્મ ‘બેવફા સાજણ’ ઓનફ્લોર જઈ રહી છે. કલામંદિર ફિલ્મ્સ (અમદાવાદ) ના બેનરમાં બની રહેલી આ ફિલ્મનું દિગ્દર્શન તેઓ પોતે જ સંભાળશે. કથા – પટકથા, સંવાદ અને ગીતો પણ તેમના જ છે. ફિલ્મનું સંગીત આપશે મૌલિક મહેતા. કલાકારોમાં જગદીશ ઠાકોર, મમતા સોની ઉપરાંત ફિલ્મની ખાસ વિશિષ્ટતા એ છે કે મમતા સોની સાથે સગાઇ થઇ ચુકી છે તે ગૌરવ અગ્રવાલ આ ફિલ્મમાં ખાસ ભૂમિકામાં જોવા મળશે. જેઓ સૌપ્રથમવાર આ ફિલ્મથી રૂપેરી પડદે એન્ટ્રી કરી રહ્યા છે. જેમાં તેઓની ભૂમિકા નેગેટીવ શેડમાં જોવા મળશે. અન્ય કલાકારોની વરણી હાલ ચાલુ છે.
પ્ર – ગોવિંદભાઈ પટેલ આપના ગુરુ હતા?
ઉ – હા, ગોવિંદભાઈ મારા ગુરુ જ હતા. આજે ગુજરાતી ફિલ્મોમાં હું જે કંઇ પણ છું એ ફક્ત ને ફક્ત ગોવિંદભાઈ પટેલની બદોલત જ છું એમ કહીશ. મારી પ્રથમ ફિલ્મ ‘સાહ્યબો મારો શાને રીસાણો’ નું મુહુર્ત તેમણે જ કર્યું હતું. ત્યારે એમણે મને આશીર્વાદ આપેલા અને કહેલું કે તારામાં આગળ વધવાની હિંમત છે. બસ ત્યારથી મને અંદરથી જ ખૂબ ઉત્સાહ રહેતો કે ફિલ્મ બનાવીશ અને લોકોનું મનોરંજન કરતો રહીશ.



n  ગજ્જર નીલેશ  

No comments:

Post a Comment